સ્નેહગીતા - કડવું ૧૯

એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રિતમશું બાંધિયોજી ।
જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો પાર નવ લાધિયોજી ।।૧।।
ઢાળ –પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી સુંદરીના સ્નેહનો ।
પ્રેમવશ પરવશ થઇ, ન કર્યો સંભાળ જેણે દેહનો ।।૨।।
જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું ।
ઇયાં રહી મારી આળ કરતા, ઇયાં તાણ્યુંતું અંબર અંગતણું ।।૩।।
ઇયાં મુજને આડા ફરતા, ઇયાં રોકી મુજને રાખતા ।
હેત દેખાડી લોભ લગાડી, ઇયાં ફંદમાં મને નાખતા ।।૪।।
ઘડો ચઢાવી ઘણા હેતે, વળી સાનમાં સમઝાવતા ।
કોયે ન જાણે જન બીજો, એમ મંદિર મારે આવતા ।।૫।।
એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને |
એકાંત જાઇ રુવે અબળા, કરી વિલાપ ઉચ્ચે વદને ।।૬।।
રોઇ રોઇને રાતાં કરે, લોચન લાલ ગુલાલરે ।
સ્નેહ સાલે શરીરમાંયે, જેને વા'લા સાથેછે વા'લરે ।।૭।।
ઘણીવાર જાણી ભરે પાણી, વળી વનિતા પાછી વળે ।
રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી ક્યારે મળે ।।૮।।
ઘટ ગાગર સોતી ઘેર પો'તી, વિસરતો નથી વિયોગ વળી ।
ભાર ન ગણે ઉભી આંગણે, જાણિયે પ્રાણ વિનાની પુતળી ।।૯।।
સ્નેહ એનો હું શું કહું, જેને પિયુશું પૂરણ પ્રીત છે |
 નિષ્કુલાનંદ નથી કે'વાતું, જથારથ જેવી એની રીત છે ।।૧૦।। કડવું ।।૧૯।।