એ દિન જાયે બહુ દિલ દાઝતાંજી, ભૂલી શુદ્ધ ભામિની હરિ સંગે હેત બાંધતાંજી ।
વિયોગે વિલખે રુવે ધુમ મષે રાંધતાંજી, એમ અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ।।૧।।
ઢાળ –અલબેલાને આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા ।
જાણે જાઉં વનમાં જીવન હશે, એમ અંતરે થઇ આતુરતા ।।૨।।
ગોરસ રસ ભરી ગોળીયે, મહી વેચવાનો મષ લઇ ।
પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઇ ।।૩।।
ક્યાં હશે બાઇ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પુછે મળી ।
જ્યારે ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ।।૪।।
કહે આજ વનમાં ક્રિડા કરતા, કહે આજ વનમાં રાસ રમિયા ।
તેહજ વનમાં જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થયાં ।।૫।।
જેમજેમ વન જુવે જુવતી, તેમતેમ કૃષ્ણ સાંભરે ।
વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ ઝરે ।।૬।।
સજ્જન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એધાંણ ।
સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ।।૭।।
એમ વૃક્ષ વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે ।
પણ કૃષ્ણ વસે મથુરાં માંહિ, તે વનમાં જોતાં કેમ જડે ।।૮।।
એમ વન જોઇને જુવતી, વળી ભવન આવી ભામિની ।
રાજ વિના કાંઇ કાજ ન સુઝે, જેને લાગી લગન શ્યામની ।।૯।।
પ્રાણ પ્યારાની પ્રિત લાગી, તેણે ત્યાગી તનની આશ જો ।
નિષ્કુલાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ।।૧૦।। કડવું ।।૨૦।।