સ્નેહગીતા - કડવું ૨૨

વળી વા'લપ વા'લાની કહ્યે નથી આવતીજી, જેજે કાંઇ કરિયું એણે આપણી વતીજી ।
અલબેલે આપિયું સુખ સમેસમે અતિજી, આપણે ન જાણ્યું માનિની મહા મૂઢમતિજી ।।૧।।
ઢાળ –મૂઢમતિ અતિ આપણી, એને કાળો કહીને બોલાવતી ।
કંઇક વાતની વાતમાંયે, એને હા કહીને હુલાવતી ।।૨।।
વળી મહી મથાવ્યાં વત્સ ચરાવ્યાં, વળી કરાવ્યાં ઘરનાં કામને ।
કઠણ કહેતાં મ્હેણાં દેતાં, વળી લેતાં ટુંકારે નામને ।।૩।।
છાશ ખાટી વાટિ દેતાં, વળી માખણ દઇને નચાવતાં ।
નટની પેરે નૃત્ય કરાવી, ઘેરઘેરથી જોવા આવતાં ।।૪।।
વળી ડાહી થઇ બાઇ આપણે, એને કાળો જાણીને કલાવતી ।
અંતરે ભાર એનો આપણે, લેશ પણ નવ લાવતી ।।૫।।
કપટી લંપટ કુડા બોલો, વળી તસ્કર કહેતી તેહને ।
અનાદર બાઇ કરતાં એનો, તોયે તે નવ તજતો સ્નેહને ।।૬।।
વળી ભલાઇ બાઇ ભૂધરજીની, જોને કહીએ મુખથી કેટલી ।
નથી કહેવાતી હેત પ્રીતની રીત, જેહ એણે કરી છે એટલી ।।૭।।
આપણારે અપરાધનો, બાઇ પાર ન આવે પેખતાં ।
તેમ મોટપ જોતાં મહારાજની, કાંઇ લેખું ન આવે લેખતાં ।।૮।।
એમ મળી વળી અબળા, અવગુણ પરઠે આપણા ।
અહો બાઇ કહીએ કેટલા, ગિરાએ ગુણ ગોવિંદતણા ।।૯।।
બાઇ સાંભળતા હશે શ્યામને, સર્વેગુણ ગોપીજન તણા ।
નિષ્કુલાનંદના નાથ સાથે, રાખી નથી કોઇ રીતે મણા ।।૧૦।। કડવું ।।૨૨।।