પદરાગ સોરઠા –
ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા'લાની વાત ।
જેરે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઉદ્ધવજી૦ ।।૧।।
સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર ।
ઉદ્ધવ અમે છીએ અધિરિયાં, તેને આપજો ધીર; ઉદ્ધવજી૦ ।।૨।।
એક વાતે શાન્તિ ઉપજે, એકે ઉઠેછે ઝાળ ।
વિવેકે કહેજો તે વીરા વળી, થઇ દિલના દયાળ; ઉદ્ધવજી૦ ।।૩।।
વલવલુંછું અમે વનિતા, તેતો કૃષ્ણને કાજ ।
નિષ્કુલાનંદનો નાથજી, ક્યારે મળશે મહારાજ; ઉદ્ધવજી૦ ।।૪।। પદ ।।૭।।
ઉદ્ધવ કહે વળી સુંદરી સુણો સહુજી, તમે છો હરિને બાઇ વ્હાલી બહુજી ।
નિશદિન નાથની સાથે બાઇ હું રહુંજી, કહ્યું મને શ્રીકૃષ્ણે તે તમને કહુંજી ।।૧।।
ઢાળ –કહ્યું છે બાઇ કૃષ્ણજીએ, કરજો કર જોડી પ્રણામ ।
વળી વળી શું કહું કૃષ્ણ કહે, મારે સુંદરી સુખધામ ।।૨।।
રાત દિવસ રટણ રહેછે, વારંવાર વ્રજ સાથને ।
તમારા પ્રેમની વાત પ્રમદા, નથી વિસરતી નાથને ।।૩।।
વળી ઉઠતાં બેસતાં એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી ।
સુતાંસુતાં જાગે જ્યારે, ત્યારે ગોપી ગોપી ઉઠે કરી ।।૪।।
એમ સંભાળે છે શ્યામળો, વળીવળી વ્રજજનને ।
પ્રાણથકી અધિક અબળા, જણાવોછો જીવનને ।।૫।।
ભવ બ્રહ્મા ભજેછે જેને, તેતો ભજેછે બાઇ તમને ।
તમારી તેની ખબર ખરી, કાંઇ પડતી નથી અમને ।।૬।।
કોણ જાણે જે કેમ હશે, વળી નથી કળાતી વારતા |
રાત દિવસ હૃદયથી, હરિ તમને નથી વિસારતા ।।૭।।
ઉદ્ધવ કહે હું આશ્ચર્ય પામ્યો, શિયાં પુણ્ય તમારાં છે સજની ।
સુતાં બેઠાં જાગતાં, વ્હાલો વાત કરેછે વળી વ્રજની ।।૮।।
બાઇ પ્યારી છો તમે પ્રાણથી, કૃષ્ણે કહ્યું ને હું પણ કહું ।
હરિ તમારા હેતનો હું, પાર કઈ પેરે લહું ।।૯।।
પણ હેત કરી હરિ હૈયાનું, હારદ કહ્યું છે અમને |
નિષ્કુલાનંદના નાથનું ગમતું, તે સાંભળોતો કહું તમને ।।૧૦।। કડવું ।।૨૯।।