ઉદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર કેમ ધરીએજી ।
તેથકી વીરા મર વિષ ખાઇને મરીએજી, ગજથી ઉતરી કેમ ચડીએ ખરીએજી ।।૧।।
ઢાળ –ખરીએ ન બેસાયે કરી તજી, કણ મુકી કુકસ કોણ ગ્રહે।
કંચન મુકીને કાદવ કોઇ, લોભાવે પણ નવ લહે ।।૨।।
મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે ।
બાવના ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભુંશી ફરે ।।૩।।
અંબર અંગે ઓઢવાં મેલી, વળી કોણ ધરે મૃગચર્મને ।
ઉત્તમ ક્રિયા મુકી અંગની, કોણ કરે મલિન વળી કર્મને ।।૪।।
ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આક ધંતુરા પાન ।
સેજ પલંગને પરહરીને, કોણ સુવે જઇ સ્મશાન ।।૫।।
જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું ।
કૃષ્ણ વિના ઉદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું ।।૬।।
પ્રીતે પતંગ અંગ પાવકે આપે, મૃગ મરે નિઃશંક થઇ નાદમાં ।
ઉદ્ધવજી સુખ એટલું, શું નહિ જાણિયે શ્યામના સ્વાદમાં ।।૭।।
આતો તન મન આપ્યું છે એહને, એક રતિ અમે રાખ્યું નથી ।
શ્રીકૃષ્ણ કૃષ્ણ કે'તાં મરશું, પણ બીજું નહિ થાય અમથી ।।૮।।
આ જીહ્વા તો અન્ય ન ઉચ્ચરે, પણ મુવા પછી પારખું કોઇ લેશે ।
નળી ભુંગળી વળી વાંસળી કરે કોય, તોએ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે ।।૯।।
અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું તેણે ઢળિયું ।
નિષ્કુલાનંદના નાથ સાથે, મન મળિયું તેહ મળિયું ।।૧૦।। કડવું ।।૩૨।।