ઉદ્ધવજી એહની વાત કહું કથીજી, કોઇ રીતે કૃષ્ણમાંહિ જો કાચું નથીજી ।
અમે તો વિચાર્યું અમારા મનથીજી, અર્થ સારી ગયા એહ આપ સ્વારથીજી ।।૧।।
ઢાળ –અર્થ સારી અલબેલડો, અળગા જાઇને એહ રહ્યા ।
વિયોગે અમે વિલખી વિલખી, શરીરના સુખથી ગયા ।।૨।।
જેમ પુષ્પની વાસ લઇ વેગળો, ૧અલિ ઉડીને આઘો ફરે ।
જેમ ફળ ખાઇ ખગ તજે તરુ, તેમ કૃષ્ણજી પણ એમ કરે ।।૩।।
દાહક વનને જેમ મૃગ મેલે, વિન તેજ રાજન રૈયત તજે ।
જેમ નિર્ધન પુષ પરહરે ૩પુંશ્ચલી, એમ અમને તજ્યાં બાંધી ધ્વજે ।।૪।।
જેમ સૂકા સરને પરહરીને, મેલીને જાય છે મરાલ ।
જેમ ભીક્ષા લઇને તજે ભવન ભીક્ષુ, એવો નેહ કરે નંદલાલ ।।૫।।
વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને, વળી તજેછે વિદ્યાવાનજી ।
જેમ દક્ષિણા લઇ યજમાન તજે, તેમ કરે છે એહ કાનજી ।।૬।।
એમ અમને પરહર્યાં, અલબેલે ઉદ્ધવ આજરે ।
અમારૂં સુખ રાખ્યું અધુરૂં, એણે સાર્યું એનું કાજરે ।।૭।।
હવે છેટે રહી છેદેછે છાતી, દૂર રહીને દિયેછે દુઃખજી ।
પ્રીત કરી પ્રાણ હરિ મેલ્યા, પછી સાનું રહે હવે સુખજી ।।૮।।
સુતાં બેઠાં સ્નેહ સાલે, પળેપળે પિંડ ઘણું પરજળે ।
ઉદ્ધવજી અંતરની વાતો, તે બા'રે બીજું કોણ કળે ।।૯।।
ભરી કસી બાણ ભીંતરે, માર્યાં છે એણે મર્મનાં ।
નિષ્કુલાનંદના નાથે અમને, ટાળ્યાં લોક કુળ ધર્મનાં ।।૧૦।। કડવું ।।૩૪।।