સ્નેહગીતા - કડવું ૩૫

ઉદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી તજાવશું તનજી ।
તો ઠોરઠોર નહોતી કરવી જતનજી, જ્યારે એને આપવોતો અમને આવો દિનજી ।।૧।।
ઢાળ –દિન દેવોતો જો દુઃખનો, વળી વણ મોતે હતાં મારવાં ।
તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં ઉગારવાં ।।૨।।
ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં ડી રીતશું ।
શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઉગારિયાં એને પ્રિતશું ।।૩।।
કેશી વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઉગારિયાં ।
વત્સાસુર બગાસુર બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં ।।૪।।
વિષ નિરવિષ ઘર વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર ।
અમારે કારણે ઉદ્ધવ એણે, દાવાનળ પીધો દોય વાર ।।૫।।
વળી ઇન્દ્ર કોપ્યો વ્રજવાસી ઉપરે, મહાપ્રલયનો મેઘ મેલિયો ।
વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર અતિશે થયો ।।૬।।
ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત આવિયો ।
ત્યારે ધરી ગોવર્ધન કર ઉપરે, વ્રજસાથ એણે બચાવિયો ।।૭।।
ઉદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઉગારિયાં ।
આવું હતું જો મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં ।।૮।।
નથી ખમાતું ઉદ્ધવ અમે, પીડી પીડી જે લેશે પ્રાણ ।
અંતરની શું કહીએ ઉદ્ધવ, તમે નથી અમારા અજાણ ।।૯।।
કૃષ્ણે કર્યું એવું કોઇ ન કરે, ઉદ્ધવજી કહું અમને ।
નિષ્કુલાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને ।।૧૦।। કડવું ।।૩૫।।