સ્નેહગીતા - કડવું ૪૨

ભક્તિ મારી છે બહુ ભાતનીજી, જન મળી કરેછે જુજવી જાતનીજી ।
પણ પ્રેમની ભક્તિ છે પ્રાણ ઘાતનીજી, તે કેમ કરી કરે કોયે નથી મુખ વાતનીજી ।।૧।।
ઢાળ –મુખવાત તેની નથી થાતી, એતો પ્રાણ ગયાની પેર છે |
એવી જે જન આદરે, તેહ ઉપર મારી મે'ર છે ।।૨।।
સ્નેહ કરે જે મુજ સાથે, તન મન કરી કુરબાણ ।
ઉદ્ધવ મારે ધન એહછે, વળી જાણુંછું જીવનપ્રાણ ।।૩।।
મને સંભારેછે સ્નેહી જન, તેમ સંભારૂં હું સ્નેહીને ।
અરસ પરસ રહે એકઠાં, જેમ પ્રીત છે દેહ દેહીને ।।૪।।
અંતર પ્રીત સરળ ચિત્ત, વળી હૈયે હેત અતિ ઘણું ।
ઉદ્ધવ એવા જન જેહ છે, તેહ રે'વા ઘર છે મુજતણું ।।૫।।
જેનું અંતર લુખું હૃદય સૂકું, વળી નેહ નહિ જેના નેણમાં ।
ઉદ્ધવજી હુંતો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન દિન રેણમાં ।।૬।।
જપ તપ તીરથ જોગ યજ્ઞા, જેહમાં તે ફળની આશ છે ।
એહને ધાયે ભક્ત કહેવાયે, પણ તેશું મારો કાંય દાસ છે ।।૭।।
કોય નર નિરાશી ચરણ ઉપાસી, મમતા રહિત મુજને ભજે ।
એવા ભક્ત જક્ત વિરક્ત જેહ, તેહ ઉદ્ધવજી મુજને રજે ।।૮।।
હુંતો વશ છઉં પ્રેમને, કહું ગોપ્ય મારો મતછે ।
સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ માનજે સત્ય સત્ય છે ।।૯।।
વ્રજવનિતા પ્રેમરતા, પ્રીતે અજીત મને જીતિયો ।
નિષ્કુલાનંદનો નાથ કહેછે, ઉદ્ધવ હેતે હું એનો થયો ।।૧૦।। કડવું ।।૪૨।।