સ્નેહગીતા - કડવું ૪૧

પદરાગ ધોળ –
અલબેલા આગળે ઉદ્ધવજીરે કહેછે, પ્રમદાના પ્રાણ કોણ જાણે કેમ રહેછેરે; ઉદ્ધવ૦ ।।૧।।
 નીર વિના નયણાં મેં કેદિયે ન દીઠાં, આંખડિયેથી આંસુ ઝરીઝરી પડેછે હેઠાંરે; ઉદ્ધવ૦ ।।૨।।
રોઇ રોઇ ખોયાછેરે દેહના રે હાલ, તમ વિના કૃપાનિધિ થઇછે કંગાલરે; ઉદ્ધવ૦ ।।૩।।
તમારા વિયોગ રોગે મણા નથી રાખી, ઝુરીઝુરી જુવતીરે પડીછે ઝાંખીરે; ઉદ્ધવ૦ ।।૪।।
પ્રાણ ગયાની પેર એનીરે મેં દીઠી, વા'લા વધામણી મેલોરે તમે મીઠીરે; ઉદ્ધવ૦ ।।૫।।
નિષ્કુલાનંદના નાથજીરે તમને, કહ્યું કર જોડી જેવું જણાણુંરે અમનેરે; ઉદ્ધવ૦ ।।૬।। પદ ।।૧૦।।

શ્રીહરિ કહે ઉદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે આરત છેજી ।
દેહ ગેહ સુખથી એહ વનિતા વિરક્ત છેજી, અચળ અડગ એની મુજ વિષે મત છેજી ।।૧।।
ઢાળ – મત એની મુજમાંહિછે, તેણે કરી તનસુખ ત્યાગ છે ।
વન જઇ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ્ય છે ।।૨।।
કામ ક્રોધ ને લોભ મોહ, તેતો વિરહ વહ્નિએ બળિયા ।
આતુરતાના અનિલે કરીને, તન વિકાર તેહના ટળિયા ।।૩।।
એકાદશ ઇંદ્રિય એની, ઉદ્ધવ આવી એહને મનમાં ।
સંસાર સંકલ્પ ના'વે સ્વપને, રહે સદાયે બુડી પ્રેમમાં ।।૪।।
પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી ।
સ્નેહ મુજ સાથે કરતાં, તેણે બીજી વાસના ગઇ બળી ।।૫।।
ઇચ્છા નથી કોઇ એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની ।
ચતુરધાની એણે ચાહના મૂકી, રાખી ભક્તિ એણે રોકની ।।૬।।
મુજ વિયોગે વિલખી વિલખી, તજ્યાં સુખ સર્વે તનથી ।
ઉદ્ધવજી એવા જન જેવું, વા'લું તે મુજને કોઇ નથી ।।૭।।
હુંજ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમીજ મારૂં તન ।
ઉદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ।।૮।।
મને પ્યાર છે પ્રેમીનો, હુંતો પ્રેમીજનને પુંઠે ફરૂં ।
સ્નેહસાંકળે સાંકળ્યો હું, જેજે જન કહે તેતે કરૂં ।।૯।।
પ્રેમીનું પણ પાળવાને, મારૂં પણ મેલ્યું પ્રેમી પાસળે ।
નિષ્કુલાનંદનો નાથ કહેછે, એમ ઉદ્ધવની આગળે ।।૧૦।। કડવું ।।૪૧।।