સ્નેહગીતા - કડવું ૪૦

ઉદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી ।
 હે કૃષ્ણ કૃષ્ણજી કરેછે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની ખબર ખરીજી ।।૧।।
ઢાળ –ખાન પાનની ખબર નથી, ઉન્મત ગત છે અંગની ।
 લોકલાજ કાજ ત્યાગ કરી, ૧રાતી છે તમારા રંગની ।।૨।।
જેમ નર કોઇ માદક પીયે, તેને તન તણી શુદ્ધ વિસરે ।
તેમ તમારા સ્નેહની કેફે કરી, એને દેહ દશા નવ દિસે સરે ।।૩।।
જોગ યજ્ઞા જપ તપ તીરથ, વળી વેદ વિધિ કરી કેમ શકે ।
સ્નેહ માંહિ રહે સમાઇ, બોલે નહિ બોલાવી બોલ્યે થકે ।।૪।।
પ્રેમ જોઇને પ્રમદાનો, મારો ગર્વ સર્વે ગળીયો ।
હુંતો ગયો તો શીખ દેવા, પણ સામું શીખ લઇને વળિયો ।।૫।।
એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે ।
ચારણી ચિત્તે ૨લટક પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે ।।૬।।
એવા સ્નેહ વિના શીદને, મૂરખ કોયે મલકાય છે ।
હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન ૩હોડ કાંયે થાયછે ।।૭।।
પ્રિતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત ન હોય ।
જેમ જળ વિયોગે ૪ઝષ ન જીવે, પણ જીવે દાદુર કૂર્મ દોય ।।૮।।
તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત ।
જાણે હમણાં હરિ આવશે, એવું ચિંતવેછે ચિત્ત ।।૯।।
પછી ભેટ દીધી પૂજા કીધી, કહ્યું વા'લા આપી છે વ્રજસાથને ।
વળી કહ્યું અંગોઅંગ મળજો, નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૪૦।।