પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહ દેખી દિગમૂઢ થયોજી ।
ધન્ય ધન્ય અહો ઉદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત જુવતીનું અપાર પાર નવ લહ્યોજી ।।૧।।
ઢાળ –પાર ન લહ્યો પ્રેમ કેરો, જોઇ જોઇ જોયું ઉદ્ધવે ।
શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને રે'શે હવે ।।૨।।
કોઇક મુખ નિશ્વાસ મૂકે, કોઇ આંખડીએ આંસુ ભરે ।
કોઇક વદન કરી ઉંચું, ગાઢે સ્વરે રોદન કરે ।।૩।।
ઉદ્ધવ કહે બાઇ એમ મ કરો, તમે ધરો અંતર ધીર ।
તમને હરિ સુખ આપશે, લોહી નાખો નયણનાં નીર ।।૪।।
ત્યારે સુંદરી કહે અમે શું કરૂં, કેમ રહે નયણાંનાં નીર ઝાલિયાં ।
તમે હતા જે કથા કે'તા, તેહ પણ વીરા તમે ચાલિયા ।।૫।।
સારૂં સધાવો સ્નેહી શ્યામના, દરશ સ્પરશ કરો હરિચરણને ।
અમારાં આશિષ વચન, કે'જો અશરણ શરણને ।।૬।।
પછી ઉદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો ।
અહો સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો ।।૭।।
ઉદ્ધવ આવિને ભેટયા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નિરખતાં ।
ત્યારે કૃષ્ણ કહે ભલે આવ્યા ઉદ્ધવ, શું કરેછે વ્રજવનિતા ।।૮।।
સ્નેહ મુજશું સુંદરીને હતો, અતિ ઘણો અતોલજો ।
કોઇ હવે સંભારેછે વ્રજમાં મને, તમે ઉદ્ધવજી સાચું બોલજો ।।૯।।
ઉદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની વિરહિણી ।
નિષ્કુલાનંદના નાથ કે'તાં, વીતે છે દિન ને રેહણી ।।૧૦।। કડવું ।।૩૯।।