સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઉપજાવશેજી ।
પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી ।।૧।।
ઢાળ – જણાવશે રીત પ્રીત કરી, હશે ૧કાસલ તે ૨કલાવશે ।
પછી સ્નેહીજન સજ્જ થઇને, ચિત્ત હરિ ચરણ લાવશે ।।૨।।
વળી દેહ ઇંદ્રિય મન પ્રાણની, કોઇ રુંધવાની રીત કરે ।
તો સર્વે સાધન મેલી મનનાં, પ્રીતે ચિત્ત હરિચરણે ધરે ।।૩।।
અંતઃકરણ ને ઇંદ્રિની વૃત્તિ, લોલુપ કિયાં નથી લોભતી ।
પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી થોભતી ।।૪।।
સર્વે વાસના ત્યારે ગળે, જ્યારે મળે મનોહર મૂરતિ ।
સાધન સર્વે થાય પુરાં, એમ ગાય સત્ય નિત્ય ૩સુરતિ ।।૫।।
પ્રભુપદની પ્રીત વિના, વિકાર તે નવ વિસમે ।
વ્રેહ વિના વાસના ન બળે, અન્ય ઉપાયે શીદ દેહ દમે ।।૬।।
સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે કરજો ।
પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ માં ડરજો ।।૭।।
સ્નેહગીતા ગ્રંથ ગાવા, ઇચ્છા કરી અવિનાશ ।
નિષ્કુલાનંદને નિમિત્ત દેઇ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ ।।૮।।
એકાદશ પદને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની કથા કથી ।
પંચ દોયે કમ જે પાંચસે, છે ચરણ પુરાં ઓછાં નથી ।।૯।।
સર્વે ચરણે સ્નેહકથા, વરણવી વિવિધે કરી |
હરિને મને હેતે સાંભળી, કરજો પ્રીત હરિ સાથે ખરી ।।૧૦।।
સંવત અઢાર બોતેરના, વૈશાખ શુદ ચતુરથી ।
હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી ।।૧૧।। કડવું ।।૪૪।।