સંવત્ ૧૮૭૬ ના વૈશાખ સુદિ ૧૧એકાદશીને દિવસ સવારમાં સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, ''જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઇક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઇક આપત્કાળ આવી પડે ત્યારે કળાય પણ તે વિના કળાય નહિ. અને ઝાઝી સંપત કે આપત આવે એની વાત શી કહેવી ? પણ આ દાદાખાચરને થોડું જ આપત્કાળ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે.'' પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો, તે પણ સમજીને રહે છે જે, જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય, અને જ્યારે કાંઇ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઇ જીવને સમાસ થાય નહિ, એટલા માટે હર્ષ શોક જેવું થઇ આવે છે.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, આપણે તો શ્રી નરનારાયણના દાસ છીએ, તે શ્રીનરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું, અને એ શ્રીનરનારાયણની ઇચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે, અને એ શ્રીનરનારાયણ આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. અને એ શ્રીનરનારાયણના ચરણારવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ, અને આવા થુંકના સાંધા હોય તેને વિષે જેનું મન ક્ષોભ પામે તો જ્યારે સાચે સાચોજ જગત વ્યવહાર માથે આવ્યો હોય તો તેના શા હાલ થાય ? માટે આપણા પતિ જે શ્રીનરનારાયણ તે તો બોરડીના ઝાડ હેઠે તપ કરે છે, અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી. ત્યારે આપણા પતિ જે શ્રીનરનારાયણ તેના આપણે દાસ છીએ. તે જેમ પતિવ્રતા સ્ત્રી હોય, તે પોતાના પતિ કરતાં ઘરેણાં, વસ્ત્ર, ખાનપાનાદિક જે ભોગ એ સર્વે પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે, પણ અધિક રાખે નહિ, તેમ આપણા પતિ જે શ્રીનરનારાયણ તે થકી આપણે પણ સાંસારિક સુખ ન્યૂન રાખવું જોઇએ. અને જેટલાં કાંઇક ભગવાનને વાસ્તે સારાં સારાં પદાર્થ ઇચ્છવાં તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને, નિષ્કામી થઇને ઇચ્છતો હોય તો તો ઠીક છે, પણ પોતે ઇચ્છનારો જે ભક્ત તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઇચ્છા રાખવી નહી. અને ભગવાનને તો સંસારના સુખની ઇચ્છા નથી, પણ પોતાના ભક્તની ભક્તિ જાણીને પોતાને જે જે પદાર્થ અર્પણ કરે છે તેનો અંગીકાર કરે છે અને જો ભગવાનને સંસારનું સુખ જોઇતું હોય, તો અનંત કોટિ બ્રહ્માંડના પતિ, ને બ્રહ્મપુર, ગોલોક, ને વૈકુંઠાદિક ધામના પતિ અને રાધિકા લક્ષ્મી આદિ જે પોતાની શક્તિયો તેના પતિ, એવા જે ભગવાન તે, સર્વે પોતાના વૈભવને તજીને બોરડીના ઝાડ હેઠે તપ કરવાને શા સારૃં બેસે ? માટે ભગવાનને તો વિષય સંબંધી સુખની આસક્તિ હોય જ નહિ. તેમાં પણ બીજા અવતાર કરતાં આપણા પતિ જે શ્રીનરનારાયણ તે તો અત્યંત ત્યાગી છે અને જીવના કલ્યાણને અર્થે તપ કરે છે. અને એ નરનારાયણને કોઇ વૈભવ જોઇતો હોય તો બોર ખાઇને શા સારૃં બેશી રહે ? આ સંસારમાં મૂર્ખા જીવ હોય છે, તે પણ ગામગરાસ ભોગવે છે, તો નરનારાયણ તો સાક્ષાત્ ભગવાન છે, તે જો એમને કાંઇ જોઇતું હોય તો વધુ તો નહિ, પણ ચાર તો ગામડાં વસાવી બેસે ? પણ એ ભગવાનને કાંઇ જોઇતું જ નથી. માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહેવું જોઇએ, અને એ ભગવાનની ઇચ્છાએ કરીને જેવી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી તેવી રીતે રાજી રહેવું. પછી એ ભગવાનની ઇચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા એની ઇચ્છાએ સર્વે સત્સંગી મટી જાઓ, પણ કોઇ રીતે હર્ષ શોક મનમાં ધારવો નહિ. એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સુકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઇ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહિ. ઇતિ વચનામૃતમ્ ।।૭૪।।