પદરાગ મેવાડો –
મથુરાં મ જાશો રે પ્રિતમ પાતળારે, નાખિ અમને નોધારાં મારા નાથ ।
જરને જાવું રે હોય તિયાં તમનેરે, તો લેજો શ્યામળા અમનેરે સાથ; મથુરાં૦ ।।૧।।
પ્રીત કરીને રે પિયુજી મા પરહરોરે, રાખો પ્રિતમ અમનેરે પાસ ।
અળગાંને રે'તાંરે અધીર અતિ અમનેરે, વણ દિઠે રહે અંતર ઉદાસ; મથુરાં૦ ।।૨।।
જેમ મણિ વિના ફણિરે અણ દિઠે આંધળોરે, વળી કોઇ લિયે લોભિનું ધન ।
વણ મૃત્યુએ મૃત્યુ તેને માનવુંરે, જેનુ કાંઇ જાતું રહ્યું છે જીવન; મથુરાં૦ ।।૩।।
જળવાસી જીવરે જ્વાળામાં જીવે નહિરે, અમારે છે તમ વિના હરિ તેમ ।
નિષ્કુલાનંદનારે સ્વામીજી સુજાણ છોરે, અજાણ જે હોય તેને કે'વું એમ; મથુરાં૦ ।।૪।। પદ ।।૩।।
પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે છે ઉછાવજી ।
આપણ ઉપરથી ઉતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા લેશું કેશું લાવજી ।।૧।।
ઢાળ –લાવો લેતાં લાડિલાશું, ઘણું આનંદે ઘડી નિગમતાં ।
દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એશું રમતાં ।।૨।।
એહ સુખ બાઇ ક્યાંથી સાંપડે, અક્રુર મૂલે આવિયો ।
પ્રાણ લેવા પાપિયો, આ રથ જોને લાવિયો ।।૩।।
જાદવકુળના વૃદ્ધ વે'લા, આને મોર્યે બહુ મરી ગયા ।
આપણે ભાગ્યે અક્રુર જેવા, વેરી કેમ વાંસે રહ્યા ।।૪।।
બાઇ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે'ર ન હોય મનમાં ।
નિર્દય હોય દગ્ધ દિલનો, બાઇ ત્રાસ ન હોય તેના તનમાં ।।૫।।
હમણાં રથને હાંકશે, બાઇ ધાઇને આડાં ફરજો ।
આ જો લુંટી જાયે અમને, એમ પ્રગટ પોકારજો ।।૬।।
માત તાત સુત સંબંધીની, વળી લોકની લાજ મ લાવજો ।
મરજાદા મુકી રથને રોકી, વળી વા'લાને વાળી લાવજો ।।૭।।
જેહ લાજમાં બાઇ કાજ બગડે, તે લાજને શું કીજીયે ।
પ્રિતમ રે'તાં જો ૧પત્ય જાયે, તો ૨જોકશું જાવા દીજીયે ।।૮।।
પ્રેમને બાઇ નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા ।
લોકલાજ વેદવિધિ કર્મ, તેતો તેને કરવાં ટળ્યાં ।।૯।।
એટલા માટે આપણે, રાખો રસિયાનો રથ રોકીને ।
નિષ્કુલાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મુકીને ।।૧૦।। કડવું ।।૧૩।।