સ્નેહગીતા - કડવું ૧૪<br />

આ વૃદ્ધ સઘળાની મત વામી ગઇજી, નંદ યશોદાની અકલ કાંઇ ન રહીજી ।
શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઇ વિચાર અંતર કર્યો નહીજી ।।૧।।
ઢાળ –વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ વિઘ્ન પણ કોઇ નવ પડયું ।
કેમ કરી રહે કૃષ્ણ બાઇ, અપરાધ આપણું આવી નડયું ।।૨।।
આ સમે કોઇ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ કારણે ।
મોડાં વે'લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં ૩વારણે ।।૩।।
અન્ય ઉપાયે અલબેલડો, વળી નથી રે'વા કોઇ રીતડી ।
અહો બાઇ અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી ।।૪।।
આ જો રથે બેઠા રસિયો, વળી ૪ખેડાવિયો પણ તે ખરો ।
ધ્રોડો બાઈ જાઇએ ધાઈ, વનિતા વિલંબ જો મા કરો ।।૫।।
બાઇ રોકી રાખીએ રથને, વળી વા'લાને પાછા વાળીયે ।
સાન કરીને કહીયે હરિને, પિયૂ પ્રિત તો નવ ટાળિયે ।।૬।।
એમ ટોળે મળો વિંટી વળો, મેલી માનિની મરજાદને ।
જીવન જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને ।।૭।।
મર જણાયે આ જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું ।
છાનું છે તે મર થાય છતું, આજ નેક ઉઘાડું નાખશું ।।૮।।
નિંદક જન મર નિંદા કરે, વળી દુરિજન મર દાઝતાં ।
કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે'શું મુખે ઘણું ગાજતાં ।।૯।।
લોક મળી વળી ચળી કે'શે, તેતો સાંભળી રે'શું શ્રવણે ।
પણ નિષ્કુલાનંદના નાથની, બાઇ ખોટય ન ખમાયે આપણે ।।૧૦।। કડવું ।।૧૪।।