પદરાગ આશાધોળ –
ના'વ્યો સંદેશો નાથનોજીરે, જુવતી જોતાં જો વાટ (૨) આશું થયું રે આપણે ।
આશું થયું રે આપણેજીરે, પ્રાણ રહેછે શામાટ (૨) ના'વ્યો૦ ।।૧।।
બાઇ મીન મરે જળ મૂકતાંજીરે, ધન્ય એ પ્રીત પરમાણ (૨) પિયુ વિયોગે પ્રમદા ।
પિયુ વિયોગે પ્રમદાજીરે, પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના'વ્યો૦ ।।૨।।
કુંજતણાં બાઇ બાળકાંજીરે, જુવે વાટ ષટ માસ (૨) અવધે ન આવે જો જનની ।
અવધે ન આવે જો જનનીજીરે, તજે તન થઇ નિરાશ (૨) ના'વ્યો૦ ।।૩।।
જીવન વિના જે જીવવુંજીરે, એતો અણઘટતી વાત (૨) નિષ્કુલાનંદના નાથ વિના |
નિષ્કુલાનંદના નાથ વિનાજીરે, પંડડું નવ થયું પાત (૨) ના'વ્યો૦ ।।૪।। પદ ।।૬।।
અંતરજામીએ અંતરની જાણીજી, ઉદ્ધવ પ્રત્યે ઉચ્ચરિયા વાણીજી ।
સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે અકળાણીજી ।।૧।।
ઢાળ –અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ ગતવત થઇ પડી ।
તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી ।।૨।।
એટલા માટે ઉદ્ધવજી, તમે વ્રજ જઇ કરો વાતડી ।
સમઝાવજો તમે સહુ જનને, વળી રે'જો તિયાં પંચ રાતડી ।।૩।।
અધ્યાત્મ એને જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી ।
એટલો પરમારથ કરો ઉદ્ધવ, તમે મનમાં આણી મે'રજી ।।૪।।
સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું કામ નથી ।
સમાસ કરજો સારીપેરે, કે'જો તત્ત્વને તમે કથી ।।૫।।
જેણી રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી ।
ઉદ્ધવજી જઇ એટલું, વળી આવજો કારજ કરી ।।૬।।
સગુણ જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ ન જાણ્યો નારીએ ।
તેણે એેનું તન તપીયું, એને એમ સમઝાણું સખી સારીએ ।।૭।।
આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય ।
તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય ।।૮।।
અમે ગયાનો અર્થ સરશે, પ્રતીત પડેછે તમતણી ।
ઉદ્ધવ એમાં વિલંબ ન કીજે, જાઓ તમે વળી વ્રજભણી ।।૯।।
એવી રીતે ઉદ્ધવજીને, હેતેશું તે કહ્યું હરિ ।
નિષ્કુલાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી ।।૧૦।। કડવું ।।૨૫।।