સ્નેહગીતા - કડવું ૨૬

એહ જો આજ્ઞાા ઉદ્ધવે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો શ્રીહરિજી ।
પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયે ઉઠિયા ઉદ્ધવજી વંદના કરીજી ।।૧।।
ઢાળ –કરી વંદના ઉઠયા ઉદ્ધવ, કર જોડી ઉભા વળી આગળે ।
કૃષ્ણે કહ્યું તે કરવું ખરૂં, પણ અળગે ગયે અંતર જળે ।।૨।।
શિશ નમાવીને શીખ માગી, જુતો રથ ઉપર બેઠા જઇ ।
ત્યારે કૃષ્ણ કહે સુણો ઉદ્ધવ, એક સંદેશો કહું તે સઇ ।।૩।।
નંદ જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે'જો પાયે પડી ।
એહના ગુણ ૧ઓશિંગળ અમે, થઇ ન શકિયા એક ઘડી ।।૪।।
બહુપેરે એણે બેઉ જણે, ઘણું ઘણું કરી જો જતનને ।
અર્ધ ઘડી અળગો ન મુકતાં, જેમ રંક જાળવે રતનને ।।૫।।
૨અસનપણે અમે હતા ૩અટારા, નિત્ય રાવ નવલી લાવતા ।
તોએ અમને કાંઇ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ।।૬।।
વળી ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી ।
અચપળાઇ અમે એવી કરતા, તોએ ન આણ્યો એણે અવગુણજી ।।૭।।
એહ માત પિતાની મોટપ, મુખે ઉદ્ધવ કહ્યે નથી આવતી ।
અમે ન થઇ સેવા એહની, એતો અમને ખટકે છે અતિ ।।૮।।
તેને લળી લળી તમે પાય લાગી, વળી ચરણમાં શિશ ધરજો ।
પછી ગોપી જનને અમારા, ઘણા ઘણા પ્રણામ કરજો ।।૯।।
શિશ નમાવિ વળી સર્વેને, કે'જો પ્રણામ વ્રજ સાથને ।
કુશળ છે ને કુશળ પુછયું નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૨૬।।