कृष्णभक्तेः स्वधर्माद्वा पतनं यस्य वाक्यतः । स्यात्तन्मुखान्न वै श्रव्याः कथावार्ताश्च वा प्रभोः ।।२५।।
અને મારા આશ્રિતો હોય તેમણે, જેના વચનને સાંભળવે કરીને ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ, એ બે થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી.
શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, જે વક્તાના મુખની વાણી સાંભળવાથી આપણે જો ભગવાનની ભક્તિ અને પોતાના ધર્મ થકી પડી જતા હોઇએ, તો એ વક્તાની અંદર ભક્તિ અને ધર્મ હોય જ ક્યાંથી ? ન જ હોય. વક્તાની અંદર જો ભક્તિ અને ધર્મ હોય તો શ્રોતાને કોઇ દિવસ ભક્તિ અને ધર્મ થકી ભ્રષ્ટ થવાનો પ્રસંગ આવે જ નહિ. કારણ કે લોકમાં પણ કહેવત છે કે, હૈયે હોય તે હોઠે આવે, અને કૂવામાં હોય તો હવાડામાં આવે. વક્તાના હૃદયમાં જો ધર્મ અને ભક્તિ હોય, તો મુખમાં પણ ધર્મપ્રધાન અને ભક્તિપ્રધાન શબ્દો જ પ્રગટ થતા હોય. અને જો વક્તાના હૃદયમાં ધર્મ અને ભક્તિ ન હોય, તો તેના મુખે પણ ધર્મ અને ભક્તિના આભાસરૂપ જ શબ્દો વહેતા હોય છે. માટે જે વક્તા ધર્મ સહિત ભગવાનની ભક્તિમાં નિષ્ઠાવાળો હોય એવા વક્તાના મુખ થકી જ ભગવાનની કથા વાર્તા સાંભળવી. પણ જેના હૃદયમાં ભક્તિ ન હોય, અને ધર્મ પણ ન હોય એવા વક્તાના મુખ થકી નીકળતા શબ્દોની અંદર ધર્મ અને ભક્તિનો અંશ હોતો નથી. તેથી તેને ગ્રામ્યવાર્તા કહેવાય છે. અને શાસ્ત્રમાં ગ્રામ્યવાર્તા શ્રવણ કરવાનો નિષેધ કરેલો છે. માટે મારા આશ્રિતો હોય તેમણે ધર્મપ્રધાન અને ભક્તિપ્રધાન એવા શબ્દો સાંભળવા, પણ ધર્મના આભાસરૂપ અને ભક્તિના આભાસરૂપ એવી ગ્રામ્ય વાર્તા ક્યારેય પણ સાંભળવી નહિ, આવો અભિપ્રાય છે. ।।૨૫।।