સંવત્ ૧૮૭૬ના માઘ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓશરીએ ઢોલિયા ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન થયા હતા, ને ધોળો ખેશ પહેર્યો હતો ને જરિયાની છેડાવાળો કસુંબલ રેંટો ઓઢયો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે "હે મહારાજ ! શ્રીમદ્બાગવત-ના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ૧ભાગવતધર્મ, તેનું જે પોષણ તે કેમ થાય ? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે, ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, જે, प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः ।स एवा साधुषु कृतो मोक्षद्वारमपावृतम् ।।" જેવો એ જીવને પોતાના સંબંધિને વિષે દ્રઢ પ્રસંગ છે, તેવો ને તેવોજ પ્રસંગજો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો, જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે."
પછી શુકમુનિએ પુછયું જે, "ગમે તેવો આપત્કાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય ?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે, અને નાનું મોટું વચન લોપી શકે નહિ એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડેજ નહિ. માટે જેને વચનમાં દ્રઢતા છે, તેનો જ ધર્મ દ્રઢ રહે અને તેનો જ સત્સંગ પણ દ્રઢ રહે." ઇતિ વચનામૃતમ્ ।।૫૪।।
૧. ભગવાને પોતાની પ્રાપ્તિ માટે કહેલા શ્રવણ કીર્તનાદિક ભક્તિરૃપ ધર્મ.