૬૧. આત્મનિષ્ઠાવાળાને અંતકાળે ઉપાસનાની જરૂર વિષે. બળીરાજાનું દૃષ્ટાંત.

સંવત્ ૧૮૭૬ ના ફાગણ વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું અને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેશ પહેર્યો હતો, ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, "કામ, ક્રોધ, લોભ તથા ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહિ તેનો શો ઉપાયછે?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, 'હું દેહ નહિ, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું.' એવી રીતે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશે દ્રઢ થાય, ત્યારે કોઇ રીતે કરીને ધીરજ ડગે નહિ, અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહિ.
પછી બ્રહ્માનંદ સ્વામીએ પુછયું જે, "જે આત્મનિષ્ઠા હોય તે અંત સમે કેટલીક સહાય કરે છે ?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, "જેમ નદી તરવી હોય ત્યાંતો જેને તરતાં આવડતું હોય તે તરી જાયને જેને તરતાં ન આવડતું હોય તે તો ઉભો થઇ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેયને વહાણનું કામ પડે છે, તેમ ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ તે રૂપી જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય. પણ મૃત્યું સમય તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેયને ભગવાનની ઉપાસનારૂપી વહાણનું કામ પડે છે, માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ આત્મનિષ્ઠા કાંઇ કામમાં આવતી નથી, તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી.

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પુછયું જે "ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિયો આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેનેજ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે. ?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, 'સિદ્ધિયો તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે અને બીજાને તો સિદ્ધિયો ઘણી દુર્લભ છે. અને એ સિદ્ધિયોને પણ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે જે 'એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિયો ઉપર ઘણું હેત છે ?' એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા વે છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઇ ન ઇચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઇ જાય છે. 'જેમ વામનજીએ બળીરાજાનું ત્રિલોકીનું રાજ્ય લઇ લીધું અને ચૌદ લોકનાં બે પગલાં કર્યાં અને ત્રીજાં પગલાં સારું તે બળીરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું , તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડયો નહિ, ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઇને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા. અને ભગવાને તો બળીરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે, તે આજ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઉભા છે, અને બળીરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઇ રહીશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઇ જશે, શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપાસિંધુ છે, તે જેની પોતાને વિષે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઇ જાય છે, પછી તે પ્રેમભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. પછી છુટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઇએ જે 'ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે, તેમ તેમ વધુ મારે વશ થશે, અને પલમાત્ર મારાથી છેટે નહિ રહે' એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય, તેમ તેમ અતિ રાજી થવું. પણ કોઇ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહિ." ઇતિ વચનામૃતમ્ ।।૬૧।।